top of page

એક જ સંતાનના વાલીઓનું રસપ્રદ સર્વેક્ષણ

Writer's picture: Dr.Vijay Manu PatelDr.Vijay Manu Patel

Updated: May 18, 2024

સામાજિક પરિવર્તનની દિશામાં આજકાલ એક મહત્વની ચર્ચા ‘વસ્તી ઘટાડા’ની થઈ રહી છે ત્યારે સમાજના કેટલાયે કુટુંબોએ પોતાના પરિવારને ‘એક સંતાન’ સાથે સીમિત બનાવ્યું છે. મેં આવા માતા-પિતા પાસેથી ડિજિટલ સર્વે દ્વારા રસપ્રદ પ્રતિભાવો જાણ્યા છે.

આ સર્વેક્ષણમાં એક સંતાનના માતા, પિતા અથવા બંને મળી 102 વ્યક્તિના પ્રતિભાવો નોંધવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન 2023 ના પરિપ્રેક્ષમાં આ સંશોધન સમાજ પરિવર્તનના દ્રષ્ટિકોણને સમજવામાં ઉપયોગી થશે. સર્વેક્ષણમાં અભિપ્રાય આપનારાઓમાંથી 56% વાલીઓએ પોતાના એક સંતાનમાં પુત્રી, જ્યારે 44 % વાલીઓએ એક સંતાનમાં પુત્ર હોવાનું જણાવ્યું હતું.

સર્વેમાં જોડાનાર 50% વાલીઓ 41 વર્ષથી વધુ વયના હતા, 44% વાલીઓ 31 થી 40 વર્ષ વયજૂથના, જ્યારે 6 ટકા વાલીઓ 26 થી 30 વર્ષની વયજૂથના હતા. મતલબ આ સર્વેમાં 25 વર્ષથી નાની ઉંમરના એક સંતાનવાળા કોઈ દંપતિ સામેલ નહોતા. આવા દંપતિઓ આધુનિક જમાનામાં ‘મોડા લગ્ન, મોડા બાળકો’ના અભિગમ તરફ વળ્યા હોવાનો નિર્દેશ કરનારા છે એમ માની શકાય.

આ સંશોધનમાં 91% વાલીઓ ગુજરાતના, 6% વાલીઓ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના અને 3 ટકા વિદેશના વાલીઓ હતા. જેમાં 70% વાલીઓએ જણાવ્યું હતું કે એક જ સંતાનથી કુટુંબને સીમિત રાખવા પાછળના પ્રેરકબળ તરીકે કૌટુંબિક જીવનની ગુણવત્તાને, 6% વાલીઓએ સામાજિક અસુરક્ષાને, 2% વાલીઓએ અધ્યાત્માના પ્રભાવને તથા 22% વાલીઓએ કોઈ ખાસ પ્રેરકબળ નહોતું એમ જણાવ્યું હતું.

એક જ સંતાનના વાલી બની રહેવા અંગે 60% વાલીઓએ બંનેની સરખી ઈચ્છા જવાબદાર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 13% એ માતાની (સ્ત્રીની), 14% એ બાળકના પિતાની(પુરુષની) અને 14 % વાલીઓએ શારીરિક તકલીફને જવાબદાર ગણાવી હતી. 60 % વાલીઓએ (પ્રથમ છોકરો કે છોકરી જે જન્મે તો પણ) પહેલેથી જ એક જ સંતાન રાખવાનું નક્કી કર્યું હતું. જ્યારે 32% એ પ્રથમ બાળકના જન્મ બાદ એક જ સંતાન રાખવાનું નક્કી કર્યું હતું.

એક જ સંતાનનો નિર્ણય સ્વીકાર્યા પછી તમને સૌથી મોટો લાભ કયો જણાયો છે એવા પ્રશ્નના ઉત્તરમાં 26% વાલીઓએ ઉછેરમાં વધુ ધ્યાન આપી શકાયાનું, જ્યારે 69% વાલીઓએ ઉછેરમાં વધુ ધ્યાન, વધુ સુવિધાની પ્રાપ્તિ તથા શિક્ષણ ખર્ચમાં રાહત એમ ત્રણેય લાભ મળ્યા હોવાનું જણાવ્યું હતું.

એક સંતાનના વાલી તરીકે આપ સૌથી વધુ કઈ બાબતે અધૂરપ અનુભવો છો એ પ્રશ્નના જવાબમાં 67 % વાલીઓએ એક સંતાન બાબતે ખાસ કોઈ મુશ્કેલી નડતી નથી એમ જણાવ્યું, જ્યારે 20 % એ રમતગમતમાં, 10% એ સામાજીક સરખામણી અને બાકીનાએ હરવા-ફરવામાં મુશ્કેલી અનુભવાતી હોવાનું જણાવ્યું હતું.

નજીકના ભવિષ્યમાં બીજા સંતાનના જન્મ બાબતે આપનો શું વિચાર છે? એવા પ્રશ્નના ઉત્તરમાં, 52% વાલીઓ નજીકના ભવિષ્યમાં બીજા સંતાન માટે કોઈ શક્યતા ધરાવતા નહોતા હોવાનું, 26% વાલીઓએ પોતે એ વિશે વિચારતા જ નથી અને 16% વાલીઓએ માતા કે પિતા કોઈ એકની બિલકુલ ઈચ્છા નથી એમ જણાવ્યું હતું.

એક સંતાનના અમલ પછી 67 % વાલીઓ માને છે કે તેમને સંતાન બાબતે કોઈ જ છૂપો ડર નથી જ્યારે બાકીના વાલીઓમાંથી 16%ને સંતાન સ્વચ્છંદી બની જવાનો તથા 15% ને સંતાનના અપમૃત્યુનો ડર સતાવતો હોવાનું જણાવ્યું હતું. લગભગ પાંચ ટકાને અપહરણ કે શારીરિક શોષણનો ડર સતાવતો હોવાનું જણાવ્યું હતું. જો કે આ નજીવી સંખ્યાઓ સામાજિક અનિશ્ચિતતા અને સુરક્ષા વિશે આત્મમંથન કરવા પ્રેરે છે.

પોતાનાથી જુદા ધર્મ-જાતિ-સંપ્રદાયના પરિણીત યુગલોને શું સલાહ આપશો એવા પ્રશ્નના ઉત્તરમાં 58% વાલીઓએ બાળકની જાતિ જાણીને ગર્ભપાત ન કરાવવા, 24% એ એક જ સંતાન રાખવા (પોતાના જેવો આદર્શ અપનાવવા!), અને 18% એ ‘બે થી વધુ સંતાન તો વિચારશો જ નહીં’ એવી સલાહ આપી હતી.

એક સંતાનના આદર્શથી તમને સમાજ તરફથી ખાસ કયો લાભ મળ્યો હતો એ પ્રશ્નના જવાબમાં એક જ સંતાનના વાલી તરીકે સમાજ તરફથી કશું જ મળ્યું નથી તેવું 83% વાલીઓએ, 8% એ પ્રસંશા મળી, 7% એ ટીકા-ટીપ્પણી મળી હોવાનું જ્યારે 2% એ ખાસ સુવિધા કે લાભો મળ્યા હોવાનું જણાવ્યું હતું. એક સંતાન રાખવાના નિર્ણયથી કોણ સૌથી વધુ નિરાશ થયું હતું એવા પ્રશ્નોના ઉત્તરમાં 16% વાલીઓએ માતા-પિતા, 12%એ સૌથી નજીકના સગા સંબંધીઓ, 1%એ મિત્રો અને 71% વાલીઓએ આ ત્રણમાંથી કોઈપણ નારાજ નહોતા થયા હોવાનું જણાવ્યું હતું.

તમારા એક સંતાન રાખવાના ખ્યાલને અપનાવવા પાછળ ભવિષ્યની કઈ ઈચ્છા હતી તેવા પ્રશ્નોના જવાબમાં 66% વાલીઓએ કોઈપણ ઈચ્છા કે અપેક્ષા નહીં, 21% વાલીઓએ કોઈપણ ધર્મની નવી પેઢી આવો આદર્શ અપનાવે તેવી અને 13% વાલીઓએ દેશના બધા ધર્મના યુગલો આ ખ્યાલ અપનાવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

એક સંતાનના વાલી તરીકે તમે સરકાર કે સમાજ પાસે કઈ એક મુખ્ય અપેક્ષા રાખો છો એ પ્રશ્નના જવાબમાં 44% વાલીઓએ સંતાનની સુરક્ષાને અગ્રિમતા આપવાની, 33% વાલીઓએ રોજગારને અગ્રિમતા આપવાની, 18% વાલીઓએ આરોગ્ય સારવારમાં અગ્રિમતા મળે તેવી, અને 5% વાલીઓએ કર(ટેક્સ)માં રાહત મળે તેવી મુખ્ય અપેક્ષા વ્યક્ત કરી હતી.

મિત્રો અને વાલીઓ, આ નાનું સંશોધન ભલે વ્યાપક પરિણામો ન દર્શાવે તેમ છતાં સામાજિક ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ, એનજીઓ, સામાજિક નીતિ ઘડનારી સંસ્થાઓને આવનારા સમય માટે દિશાસૂચન કરવામાં ઉપયોગી નીવડશે એવી આશા અસ્થાને નથી.

278 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page