હતાશામાં આશાનો આસ્વાદ્ય!
- Dr.Vijay Manu Patel
- Nov 5, 2021
- 2 min read
જીવન તમને કેવું લાગે છે? આવો પ્રશ્ન કોઈ શૈશવને પૂછો તો ‘મજા જ મજા!’ એમ કહેશે. કોઈ યુવાનને પૂછો તો મોટેભાગે ‘જક્કાસ!’ એમ કહેશે, અને કોઈ વડીલને પૂછો તો કદાચ ‘ભક્તિમાં લીન થવા જેવું!’ એવો જવાબ મળે. મતલબ, વય જૂથ મુજબ દરેક વ્યક્તિ જીવનને જુદી જુદી રીતે મૂલવે છે! આ સાચું કે ખોટું એ બાબતમાં બિલકુલ પડવા જેવું નથી. કેમ કે, જીવન કોઈ પૂતળું (Statue) નથી કે તેને તમે કોઈ નામ આપો, એ તો વહેતા પાણી જેવું છે તેથી તેને ઝરણું જ કહેવું જોઈએ. ક્યાંક અથડાય, ક્યાંક ધીમુ પડે, ક્યાંક પોતાનો અવાજ વધારે, તો કયારેક મૌન થઈ જાય!

આવનારા વર્ષ માટે આપ સૌને એવો સંદેશ આપવો છે કે આપ પ્રસન્ન રહો. પણ આવું હંમેશા શક્ય છે કે? ના. મનુષ્ય સ્વયમ ઝરણા જેવો છે, તેથી જીવનમાં સુખદુ:ખની ચડતી-પડતીનું અસ્તિત્વ હંમેશા રહેવાનું જ. તો પછી એમાં આશ્વાસન શું મળે? કોનામાં શ્રદ્ધા રાખીને મુશ્કેલીમાંથી બહાર નીકળીએ? આનો જવાબ આજે મારી પાસે નહીં, રવીન્દ્રનાથ ટાગોર પાસેથી મેળવવાનો છે. હા, તેમની એક કવિતા દ્વારા. પહેલા હું તેને અંગ્રેજીમાં તેના મૂળ સ્વરૂપે અહીં રજૂ કરું. વાંચો.
When grace is lost from life
When the heart is hard and parched up,
come upon me with the shower of mercy.
When grace is lost from life,
come with a burst of song.
When tumultuous work raises its din on all sides
shutting me out from beyond,
come to me my lord of silence, with thy peace and rest.
When my beggarly heart sits crouched, shut up in a corner,
break open the door my king,
and come with the ceremony of a king.
When desire blinds the mind with delusion and dust,
o thou holy one, thou wakeful,
come with thy light and thy thunder.
આ કાવ્યના મૂળમાં આધ્યાત્મ દર્શન છે. છતાં સામાન્ય માનવીને માટે મોટી શાતા પણ છે. ડામાડોળ વૈચારિક સ્થિતિઓમાં સંતુલન જાળવવાનો સંદેશ છે અને એમાં ઈશ્વરની યાચના છે. હવે આપ નીચે આ કાવ્યનો મહાદેવભાઇ દેસાઇએ કરેલો અનુવાદ વાંચો. અવશ્ય ગમશે.
જીવન જ્યારે જાય સુકાઈ, કરુણા વર્ષન્તા આવો
માધુર્ય માત્ર જાય છુપાઈ, ગીત સુધા ઝરંતા આવો
કર્મના જ્યારે કાળાં વાદળ, ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ
હૃદય આંગણે હે નીરવનાથ, પ્રશાંત પગલે આવો!
મોટું મન જ્યારે નાનું થઈ, ખૂણે બેસે દ્વાર યુગલ દઈ
દ્વાર ઉઘાડી હે ઉદારનાથ, જય જયજયવંતા આવો
કામ ક્રોધના આકરાં તુફાન, અંધ કરી ભુલાવે ભાન
હે સદા જાગન્ત! પાપ ધુવન્ત! વિદ્યુત સમશેરે આવો!
શિક્ષણના વિચારોથી આ લેખ થોડો આધ્યાત્મિક વિચારો તરફ વળ્યો છે. આમ તો શિક્ષણનો એક હેતુ આધ્યાત્મિક ઉન્નતિ પણ છે જ ને? તેથી આપ સૌને આ લેખ અચૂક ગમશે જ. હા, આપના પ્રતિભાવો હશે તો તે મારે માટે પણ પ્રેરક બનશે.
સૌને આ નવા વર્ષમાં સફળતા અને પ્રગતિ માટે મંગલકામના!
Comments